સમગ્ર વિશ્વમાં કોરોના જેવી મહામારીને લઈને પ્રજા ત્રાહિમામ પુકારી ઉઠી છે લોકોના ધંધા રોજગાર પડી ભાગ્યા છે જનજીવન લગભગ નીરસ થઈ ગયેલું છે લોકોના ચહેરા પરની ખુશી ગાયબ થઈ છે તેવા સમયમાં ડીસા સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓના ઉદાસ ચહેરા પર ખુશી લાવવા માટે 108 તથા ખિલખિલાટના કર્મચારીઓ દ્વારા આજે હોસ્પિટલમાં સાન્તાક્લોઝના વેશમાં એકાએક આવી પહોંચતા હોસ્પિટલ સ્ટાફ તેમજ દર્દીઓમાં સહર્ષ આશ્ચર્ય ફેલાયું હતું.
દરવર્ષની જેમ આ વર્ષે પણ 25 ડિસેમ્બર એટલે કે નાતાલ પર્વ નિમિતે 108 અને ખિલખિલાટના સ્ટાફમાંથી એવા જશવંતભાઈ અચાનક સાન્તાક્લોઝના ગેટઅપમાં હોસ્પિટલમાં આવી પહોંચ્યા હતા અને હાજર તમામ લોકોને કોરોના કાળના કપરા સમયમાં હોસ્પિટલમાં ચિંતિત દેખાતા દર્દીઓને ચોકલેટ આપીને ઝડપથી સાજા થઈને ફરીથી સ્ફુર્તિમય જીવન જીવવાની શુભેચ્છાઓ પાઠવી હતી.
બનાસકાંઠા જિલ્લા અધિકારી સાથે થયેલી વાતચીત મુજબ આ કોરોનાના કપરા સમયમાં 108 દ્વારા જિલ્લામાં કુલ 31900થી પણ વધુ લોકોને જરૂરી તમામ સારવાર આપીને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડયા હતા અને જીવન બચાવવાના ભગીરથ કાર્યમાં યોગદાન આપ્યું છે. સાથે સાથે 108ના સ્ટાફ દ્વારા અવારનવાર લોકોમાં ખુશી ફેલાવાના આશયથી તમામ તહેવારો પણ ઉજવવામાં આવતા હોય છે જેના ભાગ રૂપે આજરોજ ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે નાતાલના દિવસે સાન્તાક્લોઝ બનીને લોકોની ખુશી બેવડાય તે માટે પર્વની ઉજવણી કરવામાં આવી હતી.