દાંતીવાડા ખાતે રાવળાવાસ સીમમાં આવેલા એક ખેતરમાં સપ્તાહ અગાઉ રમતી સાત વર્ષની બાળકીના પેટમાંથી બંદૂકની ગોળી (બુલેટ) નીકળતાં ચકચાર મચી ગઈ છે. જોકે આ ઘટનામાં પિતાએ આક્ષેપ કરતાં જણાવ્યું હતુ કે આ ગોળી દાંતીવાડા ફાયરિંગ રેંજમાંથી આવી હતી. તો બીજી તરફ પોલીસે બાળકીને ગોળી વાગી નથી, તે ગળી ગઈ છે એમ કહ્યું હતું. બાળકીના પિતાએ દાંતીવાડા પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ નોંધાવતાં પોલીસે આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
દાંતીવાડા રાવળાવાસ વિસ્તારમાં રહેતા ભૂરબા અને ધૂળસિંગ વાઘેલાની દીકરી સૂર્યાબા (ઉં.વ.7)ના પેટમાં સપ્તાહ અગાઉ બંદૂકની ગોળી ઘૂસી ગઇ હતી. પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન કરી ગોળી બહાર કાઢવામાં આવી છે. આ ઘટના અંગે ધૂળસિંગે જણાવ્યું હતું કે 4 ડિસેમ્બરના રોજ પુત્રી ખેતરમાં રમતી હતી ત્યારે બપોરે 1.00 કલાકની આસપાસ અચાનક બીએસએફ ફાયરિંગ રેંજ તરફથી આવેલી બંદૂકની ગોળી તેના પેટના ભાગે ઘૂસી ગઇ હતી, આથી તે બૂમ પાડી નીચે પડી ગઇ હતી. આ અંગેની જાણ થતાં અમે તેને તાત્કાલિક દાંતીવાડા હોસ્પિટલમાં લઇ ગયા હતા. ત્યાંથી પાલનપુરની બાળકોની હોસ્પિટલમાં ખસેડી હતી. જોકે ઓપરેશન કરવાનું હોઇ અન્ય ખાનગી હોસ્પિટલમાં ખસેડી 7 ડિસેમ્બરે તબીબે ઓપરેશન કરી પેટમાંથી બંદૂકની ગોળી બહાર કાઢી હતી. ગોળી કેવી રીતે અને કોના દ્વારા છોડાઈ તેની સામે કાર્યવાહી કરવા માટે દાંતીવાડા પોલીસ મથકે અરજી આપી છે.
દાંતીવાડા ફાયર રેન્જ પર પોલીસ, બીએસએફ તેમજ એસઆરપીના જવાનો દ્વારા ફાયરિંગ કરવામાં આવે છે, જેમાં ખાલી કારતૂસ પરત લઇ લેવામાં આવે છે, જ્યારે ગોળીનો આગળ ભાગ (બુલેટ)આ વિસ્તારના લોકો શોધીને લઇ જતા હોય છે. બાળકીના કેસમાં તે રમતાં રમતાં ગોળી ગળી ગઇ હોય તેવું જણાય છે, કારણ કે ગોળી વાગી હોય તો લોહી વહેવાથી જીવને મોટું જોખમ થઇ જાય. આટલા દિવસ સુધી સહન ન કરી શકે.-આર. કે. પટેલ (ડીવાયએસપી)]