કોવિડ-19 કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતું અટકાવવા માટે આજે બનાસકાંઠા કલેકટર આનંદ પટેલે પાલનપુર શહેરના બ્રિજેશ્વર કોલોની, ગણેશપુરાના વિવિધ વિસ્તારો અને મોદી નગરમાં જઇ હોમ આઇસોલેશન કરાયેલા 10 જેટલાં કોરોના પોઝીટીવ દર્દીઓની વ્યક્તિગત મુલાકાત લઇ તેમના ખબર-અંતર પૂછ્યા હતાં. કોરોનાને કાબુમાં લેવામાં આરોગ્ય વિભાગ દ્વારા કેવા પ્રકારની કામગીરી કરવામાં આવે છે તેની જાત તપાસમાં નિકળેલા કલેકટર આનંદ પટેલે કોરોના પોઝીટીવ દર્દીઓના ઘર બહાર ઉભા રહી આરોગ્ય તંત્ર દ્વારા કેવી કામગીરી કરવામાં આવે છે. આરોગ્ય કર્મચારીઓ દ્વારા પોઝીટીવ દર્દીનું નિયમિત ફોલોઅપ લેવાય છે કે કેમ…? તે અંગે પોઝીટીવ દર્દીઓ અને તેમના પરિવારજનોને પૃછા કરતાં તેમણે ર્ડાકટરો, નર્સ અને ધન્વંતરી રથ દ્વારા આપવામાં આવતી સેવાઓ અંગે કલેકટર સમક્ષ સંતોષ વ્યક્ત કર્યો હતો.
કલેકટરએ આરોગ્ય વિભાગને સુચના આપતાં જણાવ્યું કે, ધન્વંતરી રથનો લાભ વધુમાં વધુ લોકોને મળે તે માટે સ્થાનિક કોર્પોરેટર સાથે સંકલનમાં રહી પબ્લીક એનાઉન્સમેન્ટ સીસ્ટમ લગાવી જે વિસ્તારમાં ધન્વંતરી રથ જવાનો હોય તે વિસ્તારના લોકોને એડવાન્સમાં જાણ કરીએ. તેમણે કહ્યું કે, કન્ટેઇનમેન્ટ એરીયા સિવાયના વિસ્તારોમાં પણ ધન્વંતરી રથ ફરીને લોકોના હેલ્થનું ચેકઅપ કરે જેનાથી કોરોના સંક્રમણને અટકાવી શકાય. હોમ આઇસોલેશન કરેલા કોરોના પોઝીટીવ દર્દીઓને સાંત્વના પાઠવતાં કલેકટરશ્રીએ જણાવ્યું કે, જીવનમાં તકલીફો આવે તેવા સમયે હિંમત હાર્યા વિના આપણી તંદુરસ્તી સાચવીએ અને આ વાયરસનું સંક્રમણ આપણા પરિવારજનોમાં ન ફેલાય તેની ખાસ કાળજી રાખીએ. તેમણે પોઝીટીવ દર્દીઓ, નગરપાલિકા અને આરોગ્યના અધિકારીઓને કન્ટેઇનમેન્ટ ઝોનના નિયમોનું ચુસ્ત પાલન કરવા જણાવ્યું હતું.
કલેકટરની મુલાકાત પ્રસંગે પ્રાંત અધિકારી એસ. ડી. ગિલવા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા. મનીષ ફેન્સી, તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ર્ડા. અનાવાડીયા, નગરપાલિકા ચીફ ઓફિસર સતિષ પટેલ સહિત આરોગ્યના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.