ગુજરાતમાં ગૌશાળા પાંજરાપૉળોમાં ચાર લાખ પશુઓ આશ્રિત છે. આ સંસ્થાઓ દ્વારા જીવદયાનાં હેતુથી પશુઓની સારસંભાળ અને નિભાવ કરવામાં આવે છે. તેનો નિભાવ કરવાનો ખર્ચ દાનની આવકમાંથી ચાલે છે. આવી સંસ્થાઓ દાતાઓના દાન પર જ નિર્ભર હોય છે. જેમાં એક પશુને એક દિવસ નિભાવવાનો ખર્ચ અંદાજિત રૂ.45 થી 55 નો થતો હોય છે.
કોરોનાની મહામારીમાં આબોલજીવોની હાલત પણ કફોડી બની ગઈ છે. ગૌશાળા- પાંજરાપોળને મળનાર દાનની આવક બંધ થઈ ગઈ છે. જેના કારણે આશ્રિત પશુઓને કેમ કરી જીવડવા એવી મુંઝવણમાં મુકાતા સંચાલકોઓએ વારંવાર સરકારને રજૂઆતો કરેલ જેમાં
મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી, ગુજરાતનાં તમામ ધારાસભ્યો અને મીડિયાના માધ્યમથી,એનિમલ વેલફેર બોર્ડ-ગાંધીનગર દ્વારા તમામ ગૌશાળા પાંજરાપૉળોએ દરેક વખતે સ્થાનિક તંત્રને પણ લેખિત રજૂઆતો કરી હતી. તેમ છતાં આજદિન સુધી સરકારે ગૌશાળા પાંજરાપોળની સહાયની વાતને ધ્યાને ન લેતા શુક્રવારે મળેલી બેઠક બાદ સંચાલકોએ જણાવ્યું હતું કે, અમારી સંસ્થાઓને મળનાર દાનની આવક બંધ થઈ ગઈ છે. અને આ પશુઓને નિભાવ માટે સરકાર સહાય કરે તેમાટે સરકારે એપ્રિલ અને મે મહિનાની પ્રતિ પશુ પ્રતિ દિન રૂ.25ની સહાય આપી તેનાથી માંડમાંડ આટલા દિવસ નીકળ્યા. પણ હવે સરકારે આ પશુઓને બચાવવા લાંબા સમયની યોજના બનાવી સહાય જાહેર કરવી જોઈએ. પણ સરકારે અમારી રજૂઆતને ધ્યાને લીધેલ નથી. જેથી આખરે આજે સરકારને આખરી અલ્ટીમેટમ આપીએ છીએ કે દિન સાતમા સરકાર અમારી માંગ મુજબ સહાય જાહેર નહિ કરે તો પશુઓના કલ્યાણ માટે અમારે સરકાર સામે આંદોલન કરવું પડશે. તે દરમિયાન જે પણ નુકશાન થશે તેની તમામ જવાબદારી સરકારની રહેશે.
હવે જોવાનું એ રહ્યું કે આ આખરી રિમાન્ડર મળ્યા પછી સંવેદનશીલ સરકાર યોગ્ય સહાય જાહેર કરશે કે સંચાલકોને આંદોલન અખત્યાર કર્યા બાદ જ સરકાર માનશે તે આવનારો સમય જ બતાવશે. જ્યારે ગૌશાળા પાંજરાપોળના સંચાલકો અગાઉ પણ વર્ષ 2018 માં સરકાર સામે આંદોલનનું હથિયાર ઉગામ્યુ હતું. અને હજારો પશુઓ રોડ પર ખુલ્લા છોડી મુક્યા હતા. અને ત્યારબાદ સરકારને ભાન થયું અને સરકારે સંચાલકો સાથે બેઠક કરીને સંચાલકોની માંગણીઓ સ્વીકારી. ત્યારે આંદોલનનો સુખદ અંત આવ્યો હતો. તો હવે જોવાનું રહ્યું કે આ વખતે જો આંદોલન થશે તો તેમાં કેવી સ્થિતિનું નિર્માણ થશે.