બુધવારે પશ્ચિમ બંગાળના હાવડામાં એક 32 વર્ષીય વ્યક્તિ દૂધ લેવા માટે બહાર ગયો હતો. જેને પોલીસે ખૂબ માર્યો હતો. બાદમાં તેનું મોત થયું. તે વ્યક્તિના પરિવારનો આરોપ છે કે પોલીસના ઢોરમારને કારણે તેનું મોત થયું છે.
જણાવી દઈએ કે, પ્રધાનમંત્રી મોદીએ મંગળવારે રાતે 8 વાગ્યે પૂરા દેશમાં લોકડાઉનનું એલાન કર્યું હતું અને દેશના નાગરિકોને અપીલ કરી હતી કે તેઓ પોતાના ઘરમાંથી બહાર નીકળે નહીં. 21 દિવસો માટે ભારતમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. માટે પોલીસ ઘરની બહાર નીકળતા વ્યક્તિઓ પર કડકાઈથી પગલા લઈ રહી છે. પણ એવામાં તેમનો શિકાર નિદોર્ષ વ્યક્તિઓ થઈ રહ્યા છે. તેમાનો જ આ એક મામલો છે.
32 વર્ષીય આ વ્યક્તિનું નામ લાલ સ્વામી છે. જે હાવડામાં રહે છે. તે ઘરની બહાર માત્ર દૂધ લેવા માટે નીકળ્યો હતો. તેની પત્નીનો આરોપ છે કે પોલીસના લાઠીચાર્જના કારણે તેના પતિનું મોત થયું છે. પોલીસ ભીડને દૂર કરી રહી હતી. જેનો શિકાર લાલ સ્વામી બની ગયો. તેમને તરત જ સારવાર માટે લોકલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા.
જોકે, પોલીસ તેમની ભૂલ સ્વીકારવા માટે તૈયાર નથી. તેઓ કહી રહ્યા છે કે લાલ સ્વામિનું મોત હાર્ટ એટેક થવાના કારણે થયું છે. તેને પહેલેથી જ હ્યદયની બિમારી હતી.
પશ્ચિમ બંગાળમાં અત્યાર સુધી કોરોના વાયરસના 10 કેસ નોંધાયા છે. જેમાંથી 1 દર્દીનું મોત થયું છે. 66 વર્ષના એક વ્યક્તિ કોરોના પોઝિટિવ આવ્યા છે. જે રાજ્યનો 10મો કેસ છે. નાયબાદના આ વ્યક્તિની ટ્રાવેલની કોઈ હિસ્ટ્રી નથી. પણ તેણે હાલમાં જ મિડનાપોરમાં એક લગ્ન અટેન્ડડ કર્યા હતા. કદાચ ત્યાં તે કોરોનાથી સંક્રમિત કોઈ વ્યક્તિના સંપર્કમાં આવ્યા હશે. હાલમાં તેમને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. તો તેમના પરિવારને પણ ઘરમાં આઈસોલેટ કરવામાં આવ્યા છે.