સામાજિક સંમેલન, લગ્ન, જન્મદિવસ ઉજવણીમાં ભોજનનો બગાડ અટકાવવાનું કામ શિક્ષકોને સોંપાયું

- Advertisement -
Share

ચાણક્યએ કહ્યું છે કે શિક્ષક કભી અસાધારણ નહીં હોતા, નિર્માણ ઔર પ્રલય ઉસીકી ગોદમેં પલતે હૈ. મગધના મહામાત્યના આ વાક્યને ગુજરાત સરકારે હાડોહાડ લઇ લીધું હોય એમ શિક્ષકોને બીજી સરકારી કામગીરી સિવાય અત્યાર સુધીમાં ગામમાં સંડાસ ગણવા, જાહેરમાં કોઇ કુદરતી હાજતે જતું હોય તો તેની પાસે જઇ થાળી વગાડવા, ખેતરોમાં તીડ પડે તો તીડ ઉડાડવા, સરકારી જાહેર કાર્યક્રમમાં લોકોને પાણી પાવાથી માંડીને જળસંચય યોજના હેઠળ ખાડા ખોદવાના કામ સોંપાયા. તેમાં હવે એક ઓર જવાબદારી શિક્ષકોને માથે નંખાઈ છે અને એ છે જમણવારોમાં એંઠવાડ ન થાય તે પણ જુઓ.

શિક્ષણ વિભાગે પરિપત્ર જારી કરી રાજ્યભરના પ્રાથમિક શિક્ષકોના માથે નવી જવાબદારી નાંખી
પ્રાથમિક શિક્ષણ વિભાગના સંયુક્ત શિક્ષણ નિયામકે એક પરિપત્ર કરીને તમામ જિલ્લા શિક્ષણાધિકારીને ફરમાન કર્યું છે કે તમારા શિક્ષકોને કહો કે તેમના ગામમાં થતાં જમણવારોમાં એંઠવાડ થતો હોય તો તે અટકાવે. લગ્નો, પાર્ટીઓ કે મિટીંગોમાં થતાં જમણવારોમાં અનાજનો બગાડ ન થાય તે માટે શિક્ષકે લોકોને સમજાવવા, દ્રશ્ય શ્રાવ્ય માધ્યમની પ્રસ્તુતિ બનાવવી, વિદ્યાર્થીઓને શિક્ષણ આપવું, તથા ગરીબોમાં ખાવાની વસ્તુઓ વહેંચતી સંસ્થાઓનો સંપર્ક કરવો જેવી સૂચનાઓ આપવામાં આવી છે. આ સરકાર દર બે વર્ષે વાઇબ્રન્ટ મેળાવડો યોજે છે તેમાં રૂ. 1500ની થાળી ઓર્ડર કરે છે અને આવાં અનેક મેળાવડા અને બેઠકોમાં અનાજનો બગાડ થાય છે.હવે આ પરિપત્રમાં સંયુક્ત નિયામકે ભારત સરકારના ગ્રાહકોની બાબતોના મંત્રાલયે 14 નવેમ્બરે કરેલાં પરિપત્રના આદેશોને ટાંક્યાં છે. જેમાં અનાજના બગાડની સંયુક્ત જવાબદારી સમજીને શિક્ષકોને આ આદેશ કરાયો છે. પરંતુ આ જ પરિપત્રમાં સરકારી વિભાગો દ્વારા યોજાતાં મેળાવડાઓમાં થતાં જમણવારોમાં અનાજનો બગાડ ન થાય તેવી ભલામણ પણ કરાઇ છે, તે છતાં કોઇ વિભાગને આવી સૂચનાઓ જાણે લાગુ પડતી નથી. અગાઉ આ જ શિક્ષણ વિભાગે પોતાના શિક્ષકો પર અવિશ્વાસ હોય તેમ તેઓને રૂ. 20ના સ્ટેમ્પ પર સોગંદનામું કરી પોતે કોઇ ગુન્હાઓમાં સંડોવાયેલાં નથી તેવું જાહેર કરવાનો આદેશ પણ કર્યો હતો.

અનાજનો બગાડ ન થાય તે સામૂહિક જવાબદારી
અનાજનો બગાડ ન થાય તે સહુની સામૂહિક જવાબદારી છે, પરંતુ સમાજમાં લોકો શિક્ષકને સન્માનની દૃષ્ટિએ જોતા હોઇ તેમનો સંદેશ ચોક્કસ માનશે તેવા આશયથી આ પરિપત્ર કરાયો છે. – ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, શિક્ષણમંત્રી

તમામ પ્રાથમિક શાળાઓને સૂચના
થોડા સમય અગાઉ બનાસકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં તીડ ત્રાટકતા તીડ ભગાડવાની કામગીરી સોંપતા વિવાદનું કેન્દ્ર બની હતી. રાજ્યના પ્રાથમિક શિક્ષકોને નીત નવી ફરજો સોંપતા શિક્ષણનું સ્તર કથળતું હોવાથી શિક્ષકોએ ભારે વિરોધ નોંધાવી ચુક્યા છે. ત્યારે વધુ એક વિચિત્ર પરિપત્રથી શિક્ષકોમાં રોષ ફેલાયો છે. સયુંક્ત શિક્ષણ નિયામકે જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને શાસનાધિકારીને પરિપત્ર કરી આદેશ આપ્યો છે. તેમાં શિક્ષકોને ખોરાકનો બગાડ અટકે તે માટે જનજાગૃતિનું કામ સોંપાયું છે. અન્નનો બગાડ અટકાવવાના માર્ગ શોધવાની કામગીરી શિક્ષકોના શિરે ફાળવવામાં આવી છે. રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓને આ અંગે સૂચના અપાઇ છે.
પરિપત્રને પગલે સોશિયલ મીડિયામા મજાક
ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોને સરકારની કેટલીક કામગીરીમાં અવારનવાર પરિપત્ર કરી જોતરી દેવામાં આવતા હોવાથી શિક્ષકોમાં બૂમો ઉઠતી રહે છે. શિક્ષકો વિદ્યાર્થીઓને ભણાવવાની જગ્યાએ સરકારે સોંપેલી આવી જવાબદારીઓમાં વ્યસ્ત રહેશે તો ગુજરાતનું ભાવી કેવી રીતે ભણશે? કેવી રીતે ગુજરાતમાં શિક્ષણદર ઊંચો આવશે? શું શિક્ષકો વૈકલ્પિક કામગીરી માટેનું એક વિકલ્પ બની ગયા છે? શું શિક્ષકો માટે બહાર પડતા પરિપત્રો અને આદેશો પહેલાં તંત્ર ગુજરાતના ભાવી માટે વિચારતું નથી કે શું? તેવા પ્રશ્નો ઊભા થઇ રહ્યા છે હાલ આ પરિપત્રથી સોશિયલ મીડિયામાં મજાક ઉડી રહી છે.


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!