આબુરોડ નજીક ચંદ્રાવતી બ્રિજ પરથી ટ્રક 15 ફૂટ નીચે ખાબકી, ત્રણના મોત, એક ઘાયલ
નાગોરથી મગ ભરીને પાલનપુર આવી રહ્યા હતા
ઝોકું આવતાં સ્ટેયરીંગ ઉપરથી કાબુ ગુમાવ્યો
આબુરોડ નજીક ચંદ્રાવતી બ્રિજ પર રવિવારે વહેલી સવારેટ્રકના ચાલકને ઉંઘનું ઝોકું આવતાં ટ્રક 15 ફૂટ બ્રીજથી નીચે સર્વિસ રોડ ઉપર ખાબકતા ત્રણ લોકોના મોત નીપજ્યાં છે અને એક વ્યક્તિ ઘાયલ થયો છે.હાલ ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.નાગોરથી મગ ભરીને પાલનપુર જતી ટ્રકના ચાલકને ઉંઘનું ઝોકું આવતાં દુર્ઘટના સર્જાઈ હતી.ઘટનાને પગલે લોકોના ટોળેટોળાં ઉમટ્યા હતા.તેજારામ અને ઉપમારામ બન્ને ભાઇ પોતાના વિસ્તારના ખેડૂતો જોડે માલ ખરીદીને બનાસકાંઠા જિલ્લાના માર્કટયાર્ડોમાં અવાર-નવાર માલ વેચવા આવતા હતા.
15 ફૂટ નીચે સર્વિસ રોડ પર ટ્રક ખાબકી
નાગોરથી મગ ભરીને પાલનપુર જઇ રહેલી ટ્રક નંબર (RJ-21-GA-5717)ના ચાલકને રવિવારે વહેલી સવારે 6 વાગ્યાના સુમારે ઉંઘનું ઝોકું આવતા સ્ટેરિંગ પરનું કાબુ ગુમાવી દેતા આબુરોડના ચંદ્રાવતી નજીક બ્રિજની 15 ફૂટ નીચે સર્વિસ રોડ ઉપર ટ્રક ખાબકી હતી. જેમાં ટ્રક ચાલક તેમજ માલિક તેજારામ સામતારામ જાટ (ઉંમર વર્ષ-57, રહે.સાજુ, નાગોર) તેમના ભાઇ ઉપમારામ સામતારામ જાટ (ઉંમર વર્ષ-62, રહે. સાજુ, નાગોર) તેમજ ઉપમારામનો પૌત્ર કુલદીપ પ્રહલાદ જાટ (ઉંમર વર્ષ-21, રહે.સાજુ, નાગોર) અને ક્લિનર રૂપારામ રામસ્વરૂપ મેઘવાલ (ઉંમર વર્ષ-25, રહે.સનદેડા,નાગોર) ટ્રકની અંદર ફસાઇ ગયા હતા. તેમને મદદ મળે તે પહેલાં જબન્ને ભાઇ અને પૌત્રનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે રૂપારામ રામસ્વરૂપને ગંભીર ઇજાઓ થતાં 108ની મદદથી સારવાર અર્થે ખસેડાયા હતા.
પરિવાર પર આભ ફાટ્યું
ટ્રકમાંભરેલી મગની બોરીઓ બ્રિજના નીચેના ભાગમાં સર્વિસ રોડ પર વેર વિખેર થઇ ગઇ હતી. ત્યારબાદ આ અન્ય બોરીઓને બીજા વાહનમાં લઇ જવામાં આવી હતી. આ ઘટનાની જાણ સિરોહી જિલ્લાના એસ.પી. કલ્યાણમલ મીણા, જિલ્લા કલેક્ટર સુરેન્દ્રકુમાર સોલંકી, ડીવાયએસપી પ્રવીણકુમાર સેન, તહેસીલદાર દિનેશકુમાર આચાર્ય સહિત રિકો પોલિસ ઘટના સ્થળે દોડી આવી હતી. એક સાથે એકજ પરિવારમાં ત્રણ મોત નિપજતા પરિવાર પર પણ જાણે આભ ફાટી પડ્યું હોય તેવા દ્દશ્યો સર્જાયા છે. ત્રણેય મૃતદેહોને આબુરોડની સરકારી હોસ્પિટલમાં પીએમ કર્યા બાદ લાશોને વાલીવારસોને સોંપી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.
કુલદીપ પોતાના દાદા સાથે પહેલીવાર ગુજરાત ફરવા આવતો હતો
21 વર્ષિય કુલદીપ અભ્યાસ કરી રહ્યો છે. તેને ગુજરાત ફરવાની ઇચ્છા થતાં પહેલીવાર તે તેના દાદા ઉપમારામ જોડે આવ્યો હતો અને કાળનો કોળીયો બની ગયો હતો.